ઓગડનાથ મહારાજ કોણ હતા, થળીના મહંત બળદેવનાથ મહારાજ, ઓગડ જીલ્લો અને દેવદરબાર થળી પવિત્ર ભૂમી
ગુજરાત : ઓગડનાથ કોણ હતા, જેમના નામે નવગઠિત જિલ્લો બને તેવી માગ થઈ રહી છે?
![]() |
ઓગડનાથ ભગવાન ફોટો |
'દેવદરબારની આ પવિત્ર ધરતી અને જનદેવતાના આશીર્વાદ. ઓગડનાથની કૃપા આપણા બધાને સંકટના સમયમાં સાથ આપે છે. આપણા ઉત્તર ગુજરાતના પટ્ટામાં જ્યારે-જ્યારે દુષ્કાળના દિવસો આવ્યા હોય, મુસીબતના દિવસો આવ્યા હોય, આપણને ઓગડનાથજી બાપાના આશીર્વાદ હંમેશાં સાથે રહ્યા છે.'
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કાંકરેજ ખાતે આયોજિત ચૂંટણીસભાને સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ વાત કહી હતી, જેને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
![]() |
નરેન્દ્ર મોદી અને બળદેવગીરી મહારાજ દેવદરબાર મંદિર ખાતે |
જાહેરસભા પહેલાં તેઓ દેવદરબાર જાગીરમઠ પણ ગયા હતા, જે ઓગડનાથ મહારાજની ગાદી છે.
ચૂંટણીના સમયમાં રાજકીય વિશ્લેષકોની નજરમાંથી આ વાત છટકી ન હતી, કારણ કે બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક પર તેની સીધી અસર પડે તેમ હતી.
ગુજરાત સરકારે પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના 'વાવ-થરાદ' જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. આ નવા જિલ્લાની જાહેરાતનો કેટલાક સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે નવા જિલ્લાનું નામ 'ઓગડનાથ' પરથી રાખવું જોઈએ.
બનાસકાંઠાના દિયોદરમાં આવેલા જાગીરમઠ અને ઓગડ થળી ફરી ચર્ચામાં આવી ગયાં છે. પરંતુ આ ઓગડનાથ કોણ હતા અને ઉત્તર ગુજરાતમાં તેમનું આટલું મહત્ત્વ કેમ છે?
ઓગડનાથ મહંત કોણ હતા?
![]() |
ઓગડનાથ બાપાના પગલાના દર્શન |
એવું માનવામાં આવે છે કે ઓગડનાથ 'નાથ સંપ્રદાય'ના સંત હતા. તેઓ શૈવસિંદ્ધાંતમાં માનતા હતા. નાથ સંપ્રદાય શિવને સર્વપ્રથમ ગણે છે. ઉપરાંત તે પ્રથમ નાથ હોવાથી તેમને 'આદિનાથ' પણ કહે છે.
આ પંથના મૂળ નવ નાથ છે : (1) દત્તાત્રેય, (2) આદિનાથ, (3) જડભરત, (4) સહસ્રાર્જુન, (5) મત્સ્યેન્દ્રનાથ, (6) ગોરક્ષનાથ, (7) જલંધરનાથ, (8) નાગાર્જુન અને (9) દેવદત્ત. (ગુજરાતી વિશ્વકોશ) આમાંના એક ગોરખનાથ હતા.
ઓગડનાથે બનાસકાંઠામાં તેરવાડા (હાલના) ગામ ખાતે ધૂણી ધખાવી હતી. જોકે, લોકાપવાદ થતા તેમણે ગામ છોડી દીધું અને હાલના ઓગડથળી ખાતે તપસ્યા શરૂ કરી. એ પછી રાજાના કહેવાથી હાલના સ્થળે મઠની સ્થાપના કરી.
બળદેવનાથ અહીંના 16મા ગાદીપતિ છે. એ પહેલાંના મહંતોની જીર્ણોદ્ધાર થયેલી સમાધિઓ મંદિર પરિસરમાં છે.
ઓગડનાથ દેવદરબાર જાગીરમઠના મહંત બળદેવનાથે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "ગોરખનાથ નેપાળમાં પશુપતિનાથના મેળામાં ગયા હતા, ત્યારે ત્યાંના રાજાના ઘરે ગયા હતા. ત્યારે નેપાળના 12 વર્ષના યુવરાજ આ બધું જોઈ રહ્યા હતા."
"તેમણે ગોરખનાથ સમક્ષ માગ કરી કે તેમને શિષ્ય બનાવે અને સાથે લઈ જાય, પરંતુ રાજવી પરિવારના મહેમાન બનીને આવ્યા હોવાથી ગોરખનાથે એમ કરવા માટે અસમર્થતા વ્યક્ત કરી. સાથે જ પોતે (બિહારના) ગયા જઈ રહ્યા હોવાનું યુવરાજને જણાવ્યું."
બળદેવનાથ ઉમેરે છે, "ગોરખનાથ જતા રહ્યા બાદ યુવરાજ તેમની શોધમાં નીકળ્યા અને સોહમગિરિએ તેમને દીક્ષા આપી અને તેમને નવું નામ 'બ્રહ્મગિરિ' આપ્યું."
જે સંન્યાસીઓ દીક્ષા ગ્રહણ કરે છે તેઓ પોતાના સાંસારિક નામ અને પૃષ્ઠભૂમિનો ત્યાગ કરી દે છે એવી માન્યતા છે. આથી ઉપરોક્ત કથાની સ્વતંત્ર પુષ્ઠિ થઈ શક્તિ નથી પરંતુ દંતકથા રૂપે તે પ્રચલિત છે.
ઓઘડ કે ઓગડ નામ કેવી રીતે પડ્યું?
હિંદુમાં માન્યતા પ્રમાણે, 51 શક્તિપીઠ છે, જેમાં હાલના પાકિસ્તાનમાં આવેલા હિંગળાજમાતાના મંદિરનો પણ સમાવેશ થાય છે.
મહંત બળદેવનાથના કહેવા પ્રમાણે, "અમારા દશનામી જૂના અખાડામાં હિંગળાજમાતા (હાલમાં પાકિસ્તાન)નું વિશેષ મહત્ત્વ રહેલું છે.
મહંત બળદેવનાથના કહેવા પ્રમાણે, "બ્રહ્મગિરિએ હિંગળાજમાતાને 'પ્રસન્ન કર્યાં હતા'. બ્રહ્મગિરિએ આ વાત ગોરખનાથને કરી એટલે ગોરખનાથને આશ્ચર્ય થયું, કારણ કે વર્ષોની તપસ્યા છતાં તેઓ હિંગળાજમાતાને પ્રસન્ન કરી નહોતા શક્યા."
બળદેવનાથ કહે છે, "જો બ્રહ્મગિરિ તેમના (ગોરખનાથ) ચેલા બને, તો ગોરખનાથે વસ્તુઓ (હિંગળાજમાતા પાસેથી લીધેલી)ને પરત કરવાની તૈયારી દાખવી. બ્રહ્મગિરિ તૈયાર થયા. નાથ સંપ્રદાયની પરંપરા મુજબ, ગુરુ તેના શિષ્યના કાન વીંધે. જ્યારે ગોરખનાથે બ્રહ્મગિરિનો કાન વીંધ્યો ત્યારે તેમાંથી લોહી નીકળવાના બદલે દૂધ નીકળ્યું."
"જ્યારે બીજો કાન વીંધ્યો ત્યારે તેમાંથી પણ દૂધ નીકળ્યું અને પહેલો કાન આપોઆપ સંધાઈ ગયો. એટલે ગોરખનાથે તેમને ઘડી ન શકાય એવા 'અણઘડ' કહ્યા."
"સાથે જ તેમને પોતાનો મઠ અને ગાદી સ્થાપવાની છૂટ આપી એટલે તેમના નામ સાથે શિષ્ય સાથે જોડાતા 'ગિરિ'ના સ્થાને 'નાથ' શબ્દ ઉમેરાયો."
ઓગડનાથ અંતે ગોરખનાથ પાસેથી દીક્ષા લીધી અને તેઓ તેમના શિષ્ય બન્યા. જેથી તેમનો સમાવેશ 'નાથ સંપ્રદાય'માં થયો.
સીસીસી પરીક્ષા માહિતી માટે અહીં ક્લિક કરો
ઉપરોક્ત પ્રચલિત દંતકથા છે, ઇતિહાસના ઘણા સંદર્ભોમાં 'ઓઘડ' અને 'ઓગડ' બંને શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.
ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં પણ ઓઘડનાથના નામનો ઉલ્લેખ જોવા મળે છે.
ડ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક જ્યૉર્જ બ્રિગ્સે 'ગોરખનાથ ઍન્ડ કાનફટા યોગીસ' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં બ્રિગ્સ (પેજ 11) લખે છે કે ગોરખનાથના સમર્થનથી બ્રહ્મગિરિ નામના દશનામીએ અલગ પંથની સ્થાપના કરી હતી.
ઉપરોક્ત પુસ્તકના અગિયારમા પ્રકરણમાં તેઓ ગોરખનાથના ચાર અલગ-અલગ કાળખંડ અંગેની વાયકાઓ અને ટાંકે છે. તેમનો નિષ્કર્ષ છે કે ગોરખનાથ 1200 પહેલાં અને અગિયારમી સદીમાં થઈ ગયા.
આગળ જતાં તેમનું નામ 'ઓઘડ' કે 'ઓગડ' તરીકે પ્રચલિત થયું. કાંકરેજ, દિયોદર તથા આસપાસના વિસ્તારોમાં ઓગડનાથનું બહુ મહત્ત્વ છે.
એક સમયે રાજવીઓના તથા અન્ય વિવાદો પણ અહીંના મહંત દ્વારા ઉકેલવામાં આવતા. હાલના ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાન ઉપરાંત અનેક સ્થળોએ ઓગડનાથનાં મંદિર આવેલાં છે.
ઓગડનાથના ગુરુ ગોરખનાથ કોણ હતા અને ગુજરાત સાથે શું સંબંધ છે?
ગોરખનાથનો જન્મ ક્યાં થયો તે વિશે મતમતાંતર છે, એવું માનવામાં આવે છે કે તેઓ દસમી કે અગિયારમી સદીમાં થઈ ગયા.
ગુજરાતી વિશ્વકોશના પ્રકરણ 'ગોરખનાથ' પ્રમાણે, કેટલાક લોકો માને છે કે તેમનો જન્મ ગોદાવરીના ચંદ્રગિરિમાં થયો હતો. જ્યારે બંગાળમાં એવા ઉલ્લેખો મળે છે કે તેમનો જન્મ બંગાળમાં થયો હતો. આ ઉપરાંત નેપાળી અનુશ્રુતિઓ એવું સૂચવે છે કે તેઓ પંજાબથી નેપાળ આવ્યા હતા. જ્યારે નાસિકના યોગીઓનું માનવું છે કે ગોરખનાથ પહેલાં નેપાળથી પંજાબ ગયા અને ત્યાંથી નાસિક આવ્યા હતા.
વિવિધ સરકારી યોજનાઓની જાણકારી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં ગિરનાર પર વિવિધ ટૂકો આવેલી છે. જેમાં એક ટૂકનું નામ ગોરખનાથ ટૂક પણ છે. એવું માનવામાં આવે છે કે ગોરખનાથે અહીં તપ કર્યું હતું. ઉપરાંત ગોરખનાથના શિષ્ય ધર્મનાથ કચ્છમાં આવીને વસ્યા તે પણ આ દાવાને સમર્થન આપે છે.
આ ઉપરાંત ઓઘડનાથ અને ગોરખનાથનો ઉલ્લેખ ગુજરાતીમાં લખાયેલા નવનાથચરિત્ર, ભર્તૃહરી નાટક, વાઘેલા વૃતાન્ત અને ન્હાનાલાલે લખેલા જગત્પ્રેરણા નાટકમાં પણ જોવા મળે છે.
આ ઉપરાંત ગિરનારમાં ગોરખનાથની સાથેસાથે ઓઘડનાથ નામનું પણ શિખર આવેલું છે. આ સંદર્ભો પ્રમાણે માનવા પ્રેરાઈ શકાય કે ઓગડનાથ ગોરખનાથના શિષ્ય હશે.
ગુજરાત સરકારે બનાસકાંઠાના ઇતિહાસ વિશે આપેલી માહિતીમાં કાંકરેજ અને દિયોદર તાલુકાના કેટલાક સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ ઓગડનાથનું નામ જોવા મળે છે.
આ સંદર્ભ પ્રમાણે કાંકરેજ તાલુકો વર્ષો પહેલાં વિવિધ જાગીરોમાં વહેંચાયેલો હતો. આ જાગીરોના માલિક વાઘેલા રાજપૂતોના વંશજો હોવાનું મનાય છે. અહીંના રાજપૂત દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપૂતોના વંશજો હોવાનું મનાય છે.
રાણકદેવજી દિયોદરના હતા અને તેમના મોટા ભાઈ માણેકદેવજી દિયોદરની ગાદી પર રાજ કરતા હતા. કંબોઈ કાંકરેજની રાજધાનીનું મુખ્ય મથક હતું. અહમદશાહે જ્યારે કાંકરેજ પર ચઢાઈ કરી ત્યારે કાંકરેજનાં કેટલાંક ગામોનો નાશ કર્યો હતો. આ જાગીર અલગ-અલગ ગામોમાં વહેંચાઈ હતી.
આમાંની બે મોટી જાગીરો એટલે એક દેવદરબાર જાગીર અને બીજી થળી જાગીર. આ જાગીરોની સ્થાપના પણ ઓગડ મહારાજે કરી હોવાનું મનાય છે.
ગુજરાતમાં નાથ સંપ્રદાયની શરૂઆત ક્યારે થઈ?
ગુજરાતમાં સોલંકીકાળ અને તે પહેલાંના સમયથી 'નાથ સંપ્રદાય'નો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી નાથ સંપ્રદાયના સંતો તથા તેમનાં મંદિરો અને શિલ્પો જોવાં મળે છે.
ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે સૌલંકીકાળથી ગુજરાતમાં નાથ સંપ્રદાય પ્રચલિત બનવા લાગ્યો હતો.
ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ નામના પુસ્તકમાં નવીનચંદ્ર આચાર્ય લખે છે કે ગુજરાતમાં લગભગ પંદરમી સદીની આસપાસથી પાશુપત સંપ્રદાયનો લોપ થયો. કેટલાંક ઠેકાણે નાથ સંપ્રદાય જોવા મળ્યો.
તેમના પ્રમાણે, "સાદો શૈવ ધર્મ પૌરાણિક શિવભક્તિના સ્વરૂપમાં જીવંત રહ્યો હતો. શિવ હવે ભોળાનાથ, ભોળાશંભુ તરીકે ઓળખાવા લાગ્યા. રાજપૂતો યુદ્ધમાં ભોળાનાથના નામે 'જયભોલા', 'હરહર મહાદેવ'ના નાદ ગજાવવા લાગ્યા" (પેજ 82,83)
પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે, "આ સમયે શૈવ સંપ્રદાયની એક શાખા નાથ સંપ્રદાય, જેને કેટલાક વિદ્વાનો યોગ સંપ્રદાય તરીકે ઓળખે છે, તે ગુજરાતમાં પ્રચલિત હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ આ સંપ્રદાયના સ્થાપક ગોરખનાથને શિવરૂપે પૂજે છે. આ પંથના સાધુઓ 'કાનફટા' તરીકે ઓળખાય છે. કચ્છમાં ધીણોધરનું સ્થાનક નાથ સંપ્રદાયના કેન્દ્ર તરીકે જાણીતું છે. આ ઉપરાંત કચ્છમાં નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ નાથ સંપ્રદાયની જાગીરો હતી. આ જાગીરોના વહીવટદારો જાગીરના નામે ધીરધારનો ધંધો કરતા. આ જાગીરના સંવત 1601થી 1702 સુધીના ચોપડા મળેલા છે."
વિવિધ નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
આ ઉપરાંત કચ્છના સર્વાંગી વિકાસ ભાગ-2 પુસ્તકમાં ફતેસિંહ જાડેજા નાથ સંપ્રદાય અંગે ઉલ્લેખ કરે છે, "દાદા ધોરમનાથ (જેમને ધર્મનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે) ભારતના એક મહાન તપરસ્વી અને સિદ્ધયોગી પુરુષ હતા, સમગ્ર ભારતમાં વિહાર કર્યા પછી અને અનેક પ્રદેશોની પરિસ્થિતિ જોયા પછી તેમણે કચ્છને પોતાની તપોભૂમિ બનાવ્યું, દાદા ધોરમનાથ કયા સમયમાં કચ્છમાં આવ્યા, ક્યાંથી આવ્યા અને ધીણોધર તપ કર્યાં પછી ક્યાં ગયા એ વિશે ઇતિહાસકારોમાં વિવાદ છે."
"કોઈ એમનો ત્રીજી શતાબ્દીનો સમય ગણાવે છે, તો કોઈ આઠમી સદીનો (સંવત 709), તો કોઈ ચૌદમા સૈકાનો ગણાવે છે. કેટલાક લોકો ધોરમનાથને મત્સેન્દ્રનાથ (મછંદર)ના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ ગણાવે છે. ઘણાનું માનવું છે કે દાદા ધોરમનાથ પેશાવર અથવા પંજાબ થઈને બિહાર ફરતા કચ્છ આવ્યા હતા."
"દાદા ધોરમનાથની જેમ ભચાઉ તાલુકાના કંથકોટ-ગામે બે વર્ષ તપ કરનાર યોગી કંથડનાથને પણ કચ્છમાં નાથ સંપ્રદાયના આદ્યગુરુ કહી શકાય. તેમના સમય અંગે કોઈ વિવાદ નથી. કંથડનાથે જામ મોડના સમયમાં સાતમા સૈકામાં કચ્છમાં તપ કર્યું હતું."
ઊર્મિ-નવરચનામાં ઇશ્વરલાલ દવેએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને વિવિધ વિસ્તારોમાં નાથ સંપ્રદાયની મળી આવેલી નાથ સંપ્રદાયની મૂર્તિઓ વિશે માહિતી આપી છે.
પુસ્તકમાં ઉલ્લેખ મુજબ "સૌરાષ્ટ્રમાંથી જલંધરનાથ, મત્સયેન્દ્રનાય, કતીકનાથ, તથા ધૂંધળીનાથની મૂર્તિઓ મળી આવી છે. સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાંથી પણ નાથ સંપ્રદાયની મૂર્તિઓ મળી આવી છે."
આવા જ લેખ વાંચવા માટે અમારી આ ઓફિશિયલ ગુજરાતી વેબસાઈટની દરરોજ મુલાકાત લેતા રહેશો.
અમારી સાથે જોડાયા રહેવા બદલ આભાર.
જય ઓગડનાથ મહારાજ...
જય જય ગરવી ગુજરાત...